ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક ખાતે ડાઇવર્ઝન રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

તાલુકાના પલાસવાડા ફાટક ખાતે ડાઇવર્ઝન રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ડભોઇ–વડોદરા રોડ ઉપર પલાસવાડા ખાતે ઓવરબ્રિજ નિર્માણને કારણે રેલવે વિભાગ દ્વારા ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ આ ડાઇવર્ઝન માર્ગ અત્યંત સાંકડો હોવાના કારણે અવારનવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતી હતી.ખાસ કરીને એમ્બ્યુલન્સ અને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી ડભોઇના ‘સંદેશ’ અખબારના પત્રકાર તથા જાગૃત નાગરિક વિવેક મહેતાએ મુદ્દો હાથ ઉપર લીધો હતો. છેલ્લા એક મહિના દરમિયાન તેમણે વિવિધ વિભાગો તથા અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી ડાઇવર્ઝન માર્ગ પહોળો કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે ગંભીરતા સમજાવી હતી.વિવેક મહેતાએ આ બાબતે પ્રધાનમંત્રી, રેલવે મંત્રી, મુખ્યમંત્રી તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરી હતી. આ સાથે વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પણ સંકલન બેઠક તથા રેલવે વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી કે ચાર વર્ષ સુધી ચાલનાર કામ દરમ્યાન લોકો સતત હેરાન ન થાય તે માટે ડાઇવર્ઝન માર્ગ પહોળો કરવો જરૂરી છે.આ તમામ પ્રયત્નોના પરિણામે ગતરોજ રેલવે વિભાગ દ્વારા ડાઇવર્ઝન માર્ગને બન્ને બાજુથી પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમસ્યાના નિરાકરણથી પંથકના લોકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ સફળ પ્રયાસ બદલ જાગૃત નાગરિક વિવેક મહેતાનો આભાર તથા અભિનંદન પાઠવ્યા હતા.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*