વડોદરાના પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે માધી ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન
શહેરમાં આવેલ પૌરાણિક અને અતિ શ્રદ્ધાસ્પદ રિદ્ધિ-સિદ્ધિ ગણેશ મંદિર ખાતે આવતીકાલે માધી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞને લઈ મંદિર પરિસરમાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મંદિર ફૂલોના હારોથી શણગારવામાં આવ્યું છે તેમજ આકર્ષક લાઈટિંગથી મંદિર ઝગમગતું બન્યું છે, જે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જગાવી રહ્યું છે.આ પ્રસંગે મંદિરના સેવાભાવી શૈલેષ મહારાજે વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોના તમામ ગણેશ ભક્તોને મહાયજ્ઞમાં હાજરી આપી ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.ઉલ્લેખનીય છે કે રિદ્ધિ-સિદ્ધિ ગણેશ મંદિર આશરે 253 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે, જેને વિશેષ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. અહીં બિરાજમાન રિદ્ધિ-સિદ્ધિ ગણેશજીની મૂર્તિને વડોદરાના ભક્તો અખંડ શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજા કરે છે.માધી ગણેશ ચતુર્થીના આ પાવન અવસર પર યોજાનાર મહાયજ્ઞથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, આસ્થા અને ઉત્સવનું અનોખું માહોલ સર્જાવાની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

