નસવાડીમાં ભૂંડોનો ત્રાસ વધ્યો – બે બાળકોને કરડાતા લોકોમાં ચિંતા, કાર્યવાહી માટે માંગ ઉઠી
નસવાડી: કવાંટ રોડ વિસ્તાર તેમજ આસપાસના સોસાયટી વિસ્તારોમાં ભૂંડોના વધતા ત્રાસને કારણે લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. ઉત્તરાયણના દિવસેઝ બે બાળકોને ભૂંડોએ અચાનક ત્રાટકી કરડી ખાધા બાદ વાલીઓમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. બાળકો રમતા સમયે થયેલી આ ઘટના પછી સ્થાનિક લોકોમાં ગભરાટનું માહોલ છે.નસવાડી જૂથ ગ્રામ પંચાયતના વિસ્તારમાં અંદાજે 10 હજારથી વધુ વસ્તી વસે છે. પંચાયત દ્વારા નિયમ મુજબ માત્ર 25 ભૂંડો રાખવાની મંજૂરી છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી મોટી સંખ્યામાં ભૂંડો જાહેર રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં નિર્વિઘ્ને ફરતા જોવા મળી રહ્યા છે, જે ગંભીર લાપરવાહી ગણાઈ રહી છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ મહાકાય ભૂંડો ગલીઓમાં ભટકતા હોવાને કારણે ખાસ કરીને બાળકો અને મહિલાઓને જોખમ ઊભું થયું છે. લોકોના રોજિંદા અવરજવર પર પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.સ્થાનિક ગ્રામજનો અને રહીશો દ્વારા ભૂંડોના યોગ્ય નિકાલ અને નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સંબંધિત કોન્ટ્રાકટર અને જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવા માટે લોકોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે.

