ઐતિહાસિક સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ ઐતિહાસિક સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું.પાટોત્સવ નિમિત્તે ઘ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ, મહાપ્રસાદ, બ્રહ્મભોજન તેમજ સત્સંગ સભા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.આ તમામ ધાર્મિક કાર્યક્રમો લીંબડી મોટા મંદિરના મહંત શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયા હતા. મહંતશ્રીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના મૂલ્યો, સંસ્કાર અને સમાજમાં ધર્મની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીંબડી દ્વારા સતત વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.આ પ્રસંગે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલા, શંકરલાલ દલવાડી, કૃષ્ણસિંહ રાણા, રઘુભાઈ પટેલ, સહદેવસિંહ રાણા, મહાવીરસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા સહિત અનેક આગેવાનો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં સનાતન ધર્મની રક્ષા અને જાગૃતિ માટે વિશેષ યાત્રા સંઘના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. આ યાત્રા શામળાજીથી પ્રારંભ થઈ સોમનાથ ખાતે સમાપન થશે. આ યાત્રામાં જગદગુરૂ શંકરાચાર્ય, ગુજરાતના નામી-અનામી સાધુ સંતો, રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

